PoK Election: PoKમાં પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે ઉગ્ર વિરોધ, પાકિસ્તાની સેનાની દખલના આરોપ

Arati Parmar
3 Min Read

PoK Election: પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)માં આજે વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. મીરપુર ડિવિઝનમાં 14 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદાન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે PoKમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. બીજી તરફ અનેક વિરોધ પક્ષોએ પાકિસ્તાની સેનાની દખલગીરીનો આરોપ લગાવતા ચૂંટણીના બહિષ્કારનું આહ્વાન કર્યું છે.

રિપોર્ટ મુજબ PoKના મીરપુર, ભીમબર અને કોટલી જિલ્લાની 13 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રક્રિયા માટે 2,500થી વધુ પોલિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે અને મતદાનના દિવસ પહેલાં જ તમામ જિલ્લાઓમાં ચૂંટણી સામગ્રી મોકલી દેવામાં આવી હતી. PoK સરકારે મતદારોની ભાગીદારી સરળ બનાવવા માટે મીરપુર ડિવિઝનમાં 27 જુલાઈના રોજ જાહેર રજાની પણ જાહેરાત કરી છે.

- Advertisement -

PoKમાં ઉગ્ર વિરોધ વચ્ચે ચૂંટણી

આ ચૂંટણીમાં અગાઉની જેમ પાકિસ્તાનની મુખ્ય રાજકીય પાર્ટીઓનું જ પ્રભુત્વ રહેવાની શક્યતા છે, જેમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N), પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) અને ઇસ્તેહકામ-એ-પાકિસ્તાન પાર્ટી (IPP) નો સમાવેશ થાય છે. ન્યૂઝ 18ના અહેવાલ મુજબ આ તબક્કામાં જે 13 બેઠકો પર ચૂંટણી થઈ રહી છે, તેના માટે અંદાજે 300 ઉમેદવારો મેદાનમાં છે. માત્ર કોટલી જિલ્લામાં જ છ વિધાનસભા બેઠકો માટે 135 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે મીરપુર અને ભીમબર જિલ્લાઓમાં 7,50,000થી વધુ મતદારો સાત બેઠકોના પરિણામ નક્કી કરશે.

પાકિસ્તાની સેનાની હસ્તક્ષેપના ગંભીર આરોપ

પાકિસ્તાનની સેના PoKમાં યોજાતી ચૂંટણીને પ્રભાવિત કરતી હોવાના આરોપો લાંબા સમયથી લાગતા રહ્યા છે અને આ દખલગીરીનો અંત લાવવા માટે છેલ્લા અનેક મહિનાઓથી PoKમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. લાંબા સમયથી એવો આરોપ લગાવવામાં આવે છે કે શક્તિશાળી સેના સુરક્ષા અને વહીવટી સંસ્થાઓ પર પોતાના નિયંત્રણ દ્વારા પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં રાજકીય પરિણામોને પ્રભાવિત કરે છે. જ્યાં પાકિસ્તાની અધિકારીઓનો દાવો છે કે ચૂંટણી કાયદા મુજબ યોજાઈ રહી છે, ત્યાં વિરોધ પક્ષોએ સમગ્ર પ્રક્રિયાની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે.

- Advertisement -

વિરોધ પ્રદર્શનમાં સામેલ અવામી એક્શન કમિટીએ ચૂંટણીના બહિષ્કારનું આહ્વાન કર્યું છે. સમિતિએ આ સમગ્ર પ્રક્રિયાને છેતરપિંડી ગણાવી છે અને દલીલ કરી છે કે તે આ વિસ્તારના લોકોની લોકશાહી અપેક્ષાઓનું પ્રતિનિધિત્વ કરતી નથી. સમિતિએ રહેવાસીઓને અપીલ કરી છે કે તેઓ મતદાન કેન્દ્રોથી દૂર રહે અને જે ચૂંટણી પરિણામ પહેલેથી જ નક્કી થઈ ચૂક્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેનો વિરોધ કરે.

Share This Article