Israel Iran Conflict Ceasefire 2025: મધ્ય-પૂર્વમાં 12 દિવસ સુધી ભીષણ યુદ્ધ બાદ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર થયું છે. જો કે, આ સીઝફાયર બાદ પણ બંને એકબીજા પર વાક પ્રહારો કરી રહ્યા છે. બંને પોતાની જીતનો જુદી-જુદી રીતે દાવો કરી રહ્યા છે. એવામાં ઇઝરાયલે કહ્યું કે, અમે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈની હત્યાની તૈયારી કરી લીધી હતી. તેના માટે અમેરિકાની મંજૂરીની જરૂર ન હતી.
ઇઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાટ્ઝે ગઈકાલે ગુરુવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ઇઝરાયલે ખામેનેઈની હત્યાની સંપૂર્ણ યોજના બનાવી લીધી હતી. પરંતુ ખામેનેઈએ બંકરમાં છુપાઈને પોતાનો જીવ બચાવી લીધો હતો. જો તે અમારી નજરમાં આવ્યા હોત તો અમે તેમને મારી નાખ્યા હોત. ઇઝરાયલે ખામેનેઈને શોધવાના પ્રયાસો કર્યા હતા. પરંતુ તે છુપાઈ ગયા હતા.
અમેરિકાની મંજૂરીની જરૂર નથી
કાટ્ઝે આગળ કહ્યું કે, ખામેનેઈને જાણ થઈ ગઈ હતી કે, તેમની હત્યાની યોજના બનાવાઈ છે. જેથી તેઓ અંડરગ્રાઉન્ડ થઈ ગયા હતાં. ખામેનેઈએ કમાન્ડર્સ પાસેથી સંપર્ક કાપી નાખ્યો હતો. જેથી અમે તેમને છોડી મૂક્યા. કાટ્ઝને પત્રકારે સવાલ કર્યો હતો કે, શું ઇઝરાયલે ખામેનેઈની હત્યા માટે અમેરિકા પાસેથી મંજૂરી લીધી હતી. જેનો જવાબ આપતાં કાટ્ઝે કહ્યું કે, આ કામ માટે અમારે અમેરિકાની મંજૂરીની જરૂર નથી.
ખામેનેઈને બંકરમાં રહેવાની ચેતાવણી
ઇઝરાયલ હવે ખામેનેઈને મારવાનો પ્રયાસ કરશે નહીં. કાટ્ઝે જણાવ્યું કે, યુદ્ધવિરામ પહેલાં અને યુદ્ધવિરામ બાદ બંનેમાં તફાવત છે. જો કે, ખામેનેઈને બંકરમાં જ રહેવાની ચેતાવણી છે. અમે હિઝબુલ્લાહના પ્રમુખ રહી ચૂકેલા હસન નસરલ્લાહને ગતવર્ષે મારી નાખ્યા હતા. નસરલ્લાહ લાંબા સમય સુધી બંકરમાં રહ્યો હતો. હું ખામેનેઈને પણ બંકરમાં રહેવાની સલાહ આપું છું.