Aniruddhsinh Ribda case: જેલમાંથી છૂટ્યા બાદ રીબડા બાહુબલી પર નવા કેસોનો ઘેરાવ – જુગાર, ખંડણી અને આપઘાત પ્રેરણા

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Aniruddhsinh Ribda case: ગુજરાતના રાજકીય તથા ક્રાઇમ વર્તુળોમાં જાણીતા અનિરૂદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા ઉર્ફે અનિરૂદ્ધસિંહ રીબડા ફરીથી ચર્ચામાં આવ્યા છે. કૉંગ્રેસી નેતા પોપટ સોરઠિયાની હત્યા કેસમાં જેલની સજા ભોગવી ચૂકેલા અનિરૂદ્ધસિંહ રીબડાના નામે છેલ્લા પાંચેક વર્ષમાં એક નહીં પરંતુ ત્રણ અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે. તેમાં બે કેસમાં તેમની ધરપકડ થઈ ચૂકી છે જ્યારે એક કેસમાં હજુ પણ તેઓ પોલીસ પકડથી દૂર છે.

જેલમાંથી છૂટ્યા બાદ વધતી હેકડી

- Advertisement -

1988માં પોપટ સોરઠિયાની સરજાહેર ગોળી મારી હત્યા કરનાર અનિરૂદ્ધસિંહ રીબડાને સુપ્રીમ કોર્ટએ 1997માં આજીવન કેદની સજા ફટકારી હતી. પરંતુ તેઓ ત્રણ વર્ષ સુધી પોલીસ પકડથી દૂર રહીને આખરે 2000માં જેલમાં જવા મજબૂર થયા. લગભગ અઢારેક વર્ષ સુધી જેલ ભોગવ્યા બાદ 2018માં આઈપીએસ અધિકારી ટી.એસ. બિષ્ટની ભલામણ પર તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્તિ બાદ તેઓ અનેક સિનિયર અધિકારીઓના સંપર્કમાં આવ્યાં અને તેમની પાસે “પતાવટ”ના કામો પણ થવા લાગ્યાં.

જુગાર અને ખંડણીનાં કેસ

- Advertisement -

ઑગસ્ટ 2020માં રાજકોટ ગ્રામ્ય એલસીબીએ રીબડાની વાડીમાં દરોડો પાડી મોટી રકમ સાથે 18 લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં અનિરૂદ્ધસિંહને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યા. થોડા જ દિવસોમાં સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં એક કરોડો રૂપિયાની ખંડણીનો ગુનો નોંધાયો. આ મામલે ચર્ચાસ્પદ શૈલેષ ભટ્ટનું નામ પણ સામે આવ્યું હતું. શૈલેષ ભટ્ટે એક બિલ્ડર પાસેથી લીધેલી રકમની ઉઘરાણી માટે અનિરૂદ્ધસિંહને “સોપારી” સોંપી હતી. આ સમગ્ર ડીલમાં બિટકૉઈન ટ્રાન્ઝેક્શનની પણ ચર્ચા થઈ હતી.

ચૂપચાપ ધરપકડ અને જામીન

- Advertisement -

જુગાર કેસમાં થોડા જ મહિનામાં અનિરૂદ્ધસિંહની શાંતિથી ધરપકડ થઈ હતી. જ્યારે સુરતના ખંડણી કેસમાં તેઓએ આગોતરા જામીન મેળવી લીધા હતા, પરંતુ ક્રાઈમ બ્રાંચે છાનીમાની રીતે તેમને કસ્ટડીમાં લીધા હતા.

અમિત ખૂંટ આપઘાત કેસ – નવી મુશ્કેલી

તાજેતરમાં અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરૂદ્ધસિંહ અને તેમના પુત્ર રાજદીપસિંહનું નામ આરોપી તરીકે જોડાયું છે. કેસ નોંધાયા પહેલાં જ પિતા-પુત્ર સૌરાષ્ટ્રમાંથી ગાયબ થઈ ગયા હતા અને હજુ સુધી પોલીસની પકડથી દૂર છે. આ કેસ રીબડા પરિવાર માટે મોટી કટોકટી સાબિત થઈ રહ્યો છે.

આ રીતે પોપટ સોરઠિયા હત્યા કેસ બાદ જેલમાંથી મુક્ત થયેલા અનિરૂદ્ધસિંહ રીબડા આજે ફરીથી જુગાર, ખંડણી અને આપઘાત પ્રેરણા જેવા ગુનાઓમાં ઘેરાઈ ગયા છે. એક સમયનો “બાહુબલી” આજ ફરી કાયદાની આંખમાં ચઢી ગયો છે.

Share This Article