બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મહિસાગર બ્રિજ પર લોખંડના ગર્ડર લગાવવા અને પથ્થરો નાખવાની કામગીરી ચાલી રહી છે.
સુરતમાં મેટ્રોની કામગીરીમાં થયેલા અકસ્માત બાદ હવે આણંદમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. આણંદના વાસદ નજીક રાજપુરા ખાતે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દરમિયાન બ્રિજ પરના ગર્ડરનો એક ભાગ તૂટી પડતાં ત્રણથી વધુ કામદારો કોંક્રીટના કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. જ્યારે એકના મોતના પણ સમાચાર છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત મહિસાગર બ્રિજ પર લોખંડના ગર્ડર લગાવવા અને પથ્થરો નાખવાનું કામ ચાલી રહ્યું છે. રેલવે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે લોકો ફરિયાદ કરી રહ્યા છે.
અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ, વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ સહિતના કાફલા દ્વારા તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેસીબી ક્રેન વડે પથ્થરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

