નવી દિલ્હી, તા. 9 : ભારતના કમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ)એ જણાવ્યું હતું કે, ભારતીય રેલવેને ન ભરાયેલી લોન્સ, જીએસટી નહીં વસૂલવા, બિનફળદાયી ખર્ચાઓ જેવા 33 કિસ્સામાં 2604.40 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કેગના જણાવ્યાનુસાર 2021-22ના ગાળા દરમ્યાન તેમજ અગાઉના વર્ષો દરમ્યાન ધ્યાનમાં આવેલા કિસ્સાઓને અહેવાલમાં સામેલ કરાયા છે.

એક કિસ્સામાં કેગને જાણવા મળ્યું હતું કે, એન્જિનના શર્ટિંગની ગતિવિધિઓ માટેના ચાર્જની વસૂલાત નહીં કરતાં રેલવેને 2018થી 2022 દરમ્યાન 149.12 કરોડનું નુકસાન વેઠવું પડયું હતું. કેગના અહેવાલમાં જણાવાયું હતું કે, ઇરકોન ઇન્ટરનેશનલ લિ. દ્વારા ગેરલાયક બીડરને 1110.80 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી, લાયકાતના અનિવાર્ય માપદંડોની અવભંગના કરાઇ હતી.

