Jarange ultimatum Maratha quota Maharashtra: મરાઠા અનામત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા મનોજ જરાંગેએ આજે સોમવારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અલ્ટીમેટ આપતાં ચીમકી આપી છે. તેમણે કહ્યું છે કે, જો મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ મરાઠાઓની માંગ સ્વીકારશે નહીં તો પાંચ કરોડથી વધુ લોકો મુંબઈ આવશે. તેમણે બીજી તરફ મરાઠા અનામતના આંદોલનકારીઓને મુંબઈમાં સામાન્ય લોકોને અસુવિધા ન નડે તેનું ધ્યાન રાખવા પણ અપીલ કરી છે.
બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી
બોમ્બે હાઈકોર્ટે મરાઠા અનામત મુદ્દે સુનાવણી શરૂ કરી છે. હાઈકોર્ટે મનોજ જરાંગે અને તેમના સમર્થકોને મંગળવાર (2 સપ્ટેમ્બર) સુધીમાં પરિસ્થિતિ સુધારવા અને મુંબઈના તમામ રસ્તાઓ ખાલી કરવાનો સમય આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે મનોજ જરાંગેના નેતૃત્વમાં વિરોધ શાંતિપૂર્ણ નથી અને તેમાં તમામ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જેથી મુંબઈમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા આદેશ છે. વધુમાં હાઈકોર્ટે મહારાષ્ટ્રની સરકારને સવાલ કર્યો છે કે, આ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા શું યોજના બનાવી છે. કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે કેવા પગલાં લેવા જોઈએ.
ગોળી ખાવા પણ તૈયારઃ જરાંગે
મનોજ જરાંગે ચાર દિવસથી આમરણ ઉપવાસ પર છે. જ્યાં સુધી મરાઠાઓની અનામત મુદ્દેની માગ સંતોષાય નહીં ત્યાં સુધી આમરણ ઉપવાસ પર રહેવાની પ્રતિજ્ઞા લીધી છે. તેમણે કહ્યું કે, અમે મરાઠા સમુદાયને અન્ય પછાત વર્ગો (OBC) શ્રેણીમાં અનામત આપવાની માગ કરી રહ્યા છે. આ આંદોલનમાં અમે ગોળી ખાવા માટે તૈયાર છે. અમે સરકાર પાસે ઉપલબ્ધ રેકોર્ડના આધારે અનામત આપતો સરકારી આદેશ જારી કરવાની માંગ કરી છે.
29 ઓગસ્ટથી ઉપવાસ શરૂ કર્યા
મહારાષ્ટ્ર સરકારે રવિવારે જણાવ્યું હતું કે, અમે મરાઠા સમુદાયને કુણબી (OBC જાતિ)નો દરજ્જો આપતા હૈદરાબાદ ગેઝેટિયરને લાગુ કરવા માટે કાનૂની અભિપ્રાય લઈશું. જોકે, જરાંગે તેનાથી પ્રભાવિત થયા ન હતા અને કહ્યું કે તેઓ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં વિરોધ સ્થળ છોડશે નહીં જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષાશે નહીં. ભલે પછી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સરકાર વિરોધીઓ પર ગોળીબાર કરે. તેઓ શુક્રવારથી આઝાદ મેદાનમાં અનિશ્ચિત સમય સુધી આમરણ ઉપવાસ પર છે જેથી સરકાર પર મરાઠાઓને OBC કેટેગરીમાં 10 ટકા અનામત આપવાની માંગ સાથે દબાણ કરી શકીએ.