Fever Management In Ayurveda: આયુર્વેદમાં તાવનો સૌથી પહેલો ઉપાય છે ‘લંઘન’, બોડી ટેમ્પરેચર મેનેજ કરવાની રીત

Arati Parmar
6 Min Read

Fever Management In Ayurveda: આયુર્વેદમાં તાવને ‘જ્વર’ અને તેની સારવારને ‘જ્વર ચિકિત્સા’ કહેવામાં આવે છે. તેને મેનેજ કરવા માટે સૌથી પહેલા બીમારીને સમજવી ખૂબ જરૂરી છે. આયુર્વેદ કહે છે કે જો એક ચિકિત્સક તાવના વિકાસ અને સમાધાનને સારી રીતે સમજે છે, તો આ બીમારીને આરામથી કંટ્રોલ કરી શકે છે. તાવમાં શારીરિક તાપમાન વધી જાય છે, જે ઇન્ફેક્શન સામે શરીરની પ્રથમ પ્રતિક્રિયા છે.

તાવમાં ‘અગ્નિ’નું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ

હેલ્થને જાળવી રાખવા માટે ડાયજેસ્ટિવ અને મેટાબોલિક ફાયરનું સાચું રહેવું ખૂબ જરૂરી છે, જેને આયુર્વેદમાં ‘અગ્નિ’ કહેવામાં આવે છે. જ્યારે અગ્નિ યોગ્ય રીતે કાર્ય કરે છે, ત્યારે શારીરિક પેશીઓ માટે પોષણના રૂપમાં ખોરાકનું વ્યવસ્થિત પરિવર્તન થાય છે. પરંતુ જ્યારે આ પાચક અગ્નિ નબળી હોય છે ત્યારે ‘આમ’ (અધૂરો પચાયેલો ખોરાક) બને છે. આ અધૂરો મેટાબોલાઈઝ્ડ પદાર્થ ઝેરી (ટૉક્સિક) હોય છે. આ ઝેરી પદાર્થ આખા શરીરમાં ફરીને ફિઝિયોલોજિકલ ચેનલને બ્લોક કરે છે અને ટિશ્યુનું સંતુલન બગાડે છે, જેના પરિણામે ઇન્ફ્લેમેશન અને બીમારી વિકસે છે.

- Advertisement -

તેથી તાવને એક ઇન્ફ્લેમેટરી અને પ્રોટેક્ટિવ રિસ્પોન્સ તરીકે જોવામાં આવે છે. જ્યારે પણ શરીરમાં આંતરિક ઇન્ફ્લેમેશન કે ઇન્ફેક્શન હશે, ત્યારે શરીર ‘આમ’ ને મેટાબોલાઈઝ કરીને અગ્નિનું સંતુલન બનાવવા માટે પોતાનું આંતરિક તાપમાન વધારશે. આ દ્રષ્ટિકોણથી, આયુર્વેદમાં હળવા તાવને તરત જ દબાવી ન દેવાની સલાહ આપવામાં આવે છે.

તાવની સારવારનું પ્રથમ આયુર્વેદિક પગલું

આયુર્વેદિક ફીવર મેનેજમેન્ટનું પ્રથમ પગલું ‘લંઘન’ છે. આમાં ‘આમ’ ને યોગ્ય રીતે મેટાબોલાઈઝ કરવા માટે ડાયજેસ્ટિવ લોડ ઓછો કરવામાં આવે છે. આ માટે શારીરિક રીતે મજબૂત લોકોને નાના-નાના ઉપવાસ કરવા અથવા હળવા, સુપાચ્ય અને ગરમ પ્રવાહી પદાર્થોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ડાયજેસ્ટિવ એનર્જી બચાવ્યા પછી શરીર ડિટોક્સિફિકેશન અને હીલિંગ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. ભારત જેવા દેશ માટે આ દ્રષ્ટિકોણ બિલકુલ સાચો છે, જ્યાં તાવ પાછળ અવારનવાર વાયરલ ઇન્ફેક્શન, હવામાનમાં અચાનક ફેરફાર, પ્રદૂષણનો સંપર્ક, એલર્જી અને તણાવ, ઊંઘની અછત તેમજ અસ્વસ્થ ખાનપાન જેવી લાઈફસ્ટાઈલ હેબિટ્સ જોવા મળે છે.

- Advertisement -

ઘરે કેવી રીતે કરશો સંભાળ?

તાવ મેનેજ કરવા માટે ઘરે યોગ્ય સંભાળ રાખવી પણ આવશ્યક છે. દર 4 થી 6 કલાકની અંદર ડિજિટલ થર્મોમીટરથી બોડી ટેમ્પરેચર ચેક કરો. તાવમાં શારીરિક અને માનસિક ઉર્જા ઓછી થઈ જાય છે, તેથી આરામ જરૂર કરો. પૂરતી ઊંઘ લેવાથી, સ્ક્રીનનો ઉપયોગ ઓછો કરવાથી અને શાંત તથા વેન્ટિલેટેડ વાતાવરણમાં રહેવાથી ઝડપથી રિકવરી આવે છે. આયુર્વેદિક દ્રષ્ટિકોણ મુજબ આવી સંભાળથી ‘ઓજસ’ની રક્ષા થાય છે, જે ઇમ્યુનિટી અને જીવનશક્તિનું કેન્દ્ર માનવામાં આવે છે.

તાવમાં કેવો હોવો જોઈએ ડાયટ?

તાવમાંથી ઝડપથી બહાર આવવા માટે તમારો ડાયટ અને હાઇડ્રેશનનો સપોર્ટ ખૂબ મહત્વનો છે. ગરમ પાણી અથવા તુલસી, આદુ, જીરું, ધાણા, વરિયાળીમાંથી બનાવેલો હર્બલ ઉકાળો ઘૂંટડે-ઘૂંટડે વારંવાર પીવો. આનાથી પાચન અને ટૉક્સિનની સફાઈમાં મદદ મળે છે. દર્દીનો ખોરાક બિલકુલ હળવો, ગરમ અને સરળતાથી પચી જાય તેવો હોવો જોઈએ. આ માટે ચોખાની કાંજી (દલિયા), મગની દાળ અને શાકભાજીનો સૂપ લઈ શકાય છે. કોલ્ડ ડ્રિંક્સ, ફ્રાઈડ ફૂડ, ભારે ખોરાક, વધુ પડતા મસાલાથી બચવું જોઈએ, કારણ કે તે અગ્નિને નબળી પાડે છે અને રિકવરીમાં વિલંબ કરે છે.

- Advertisement -

આયુર્વેદમાં તાવને મેનેજ કરવા માટે નાગરમોથા અને પરપટાકા (પિત્તપાપડો) જેવી પરંપરાગત જડીબુટ્ટીઓને અસરકારક માનવામાં આવે છે. આ હર્બ્સને એકલા અથવા તુલસી, તાજા કે સૂકા આદુ, જીરું વગેરે સાથે ઉકાળીને બનાવેલો ઉકાળો ઇન્ફ્લેમેટરી હીટને ઓછી કરવામાં મદદ કરે છે. જકડન દૂર કરવા માટે સ્ટીમ ઇન્હેલેશન (નાસ લેવો) અને ઇમ્યુનિટી વધારવા માટે ગુડુચી એટલે કે ગિલોયનો ઉપયોગ કરવામાં આવે છે.

ક્યારે લેવી જોઈએ તાવની દવા?

આયુર્વેદ માને છે કે હળવા તાવના મોટાભાગના કેસોને ઠીક કરવા માટે કુદરતી ઉપાયો પૂરતા રહે છે, પરંતુ ઘણીવાર દવા લેવી પણ જરૂરી બની જાય છે. જોકે, તાવની શરૂઆતમાં કે હળવા તાવમાં ભારે દવાઓ લેવાથી બચવું જોઈએ, કારણ કે તેના કારણે શરીરની કુદરતી પ્રતિક્રિયા ઓછી થઈ જાય છે અને ‘આમ’ નું મેટાબોલિઝમ પ્રભાવિત થાય છે. પાચન સુધર્યા પછી જરૂરી આયુર્વેદિક કે મોડર્ન દવાની અસર વધુ સારી થાય છે.

વધારે તકલીફમાં પેરાસિટામોલ લઈ શકાય છે, પરંતુ તેનો અતિશય ઉપયોગ ન કરવો જોઈએ. એન્ટિબાયોટિક્સ ક્યારેય જાતે ન લેવી જોઈએ, કારણ કે મોટાભાગના તાવ પાછળ વાયરલ ઇન્ફેક્શન હોય છે અને એવામાં એન્ટિબાયોટિક્સનો બિનજરૂરી ઉપયોગ આંતરડાના સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારક શક્તિને બગાડી શકે છે.

આ લોકો રાખે વધુ સાવધાની

બાળકો, વૃદ્ધો અને ડાયાબિટીસ-હાઈ બીપી જેવી ક્રોનિક બીમારીના દર્દીઓને વધુ સાવધાનીની જરૂર હોય છે, કારણ કે તેમનામાં ડિહાઇડ્રેશનથી થતા ગંભીર પરિણામોનું જોખમ વધુ રહે છે. આ લોકોમાં હળવો તાવ પણ અવગણવો જોઈએ નહીં. જો બાળકો કે વૃદ્ધોનું બોડી ટેમ્પરેચર 100°F થી વધુ હોય તો તરત જ મેડિકલ એડવાઈઝ લેવી જોઈએ અને પાણીના પોતા (ભીની પટ્ટી), હાઇડ્રેશન વગેરેથી તાપમાનને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

જો તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ, સતત ઉલટી, ડાયરિયા, કન્ફ્યુઝન, ગંભીર માથાનો દુખાવો, ધ્રુજારી અથવા અસામાન્ય નબળાઈ-થાક લાગે તો તરત જ ડોક્ટરને બતાવવું જોઈએ. વહેલી ટેસ્ટિંગની મદદથી ડેન્ગ્યુ ફીવર, મેલેરિયા કે ટાઈફોઈડને ઓળખીને ઠીક કરી શકાય છે.

આયુર્વેદ કહે છે કે સ્વાસ્થ્ય અને જીવનને સંતુલિત રાખવા માટે આહાર, ઊંઘ અને શારીરિક પ્રવૃત્તિને સ્વસ્થ રાખવી ખૂબ જરૂરી છે. સંતુલિત આહાર લેવાથી શરીરને પોષણ મળે છે અને અગ્નિ યોગ્ય રહે છે. પૂરતી ઊંઘ લેવાથી ઇમ્યુનિટી અને એનર્જીનું લેવલ જળવાય છે. નિયમિત કસરત અને યોગથી મેટાબોલિક બેલેન્સ, સર્ક્યુલેશન અને સહનશક્તિ જળવાય છે. સાથે જ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સીઝનલ રૂટિન સાથે પાચન અને ઇમ્યુનિટી સુધારી શકાય છે.

Share This Article