‘તારક મહેતા…’માં રોશન સોઢીનું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ વિશે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. અભિનેતાના ગાયબ થયા પછી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદી તેમજ શોની સ્ટાર કાસ્ટએ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. ગુરુચરણ દિલ્હીથી ગુમ થઈ ગયા છે.
સોની સબ ટીવીની પ્રખ્યાત ટેલિવિઝન સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લોકપ્રિય અભિનેતા ગુરચરણ સિંહ છેલ્લા 11 દિવસથી ગાયબ છે. TMKOCમાં ‘રોશન સિંહ સોઢી’નું પાત્ર ભજવનાર ગુરુચરણ સિંહ દિલ્હીથી ગુમ થઈ ગયા હતા. આ મામલામાં દિલ્હી પોલીસ દ્વારા અપહરણની ફરિયાદ પણ નોંધવામાં આવી છે. હવે આ સમગ્ર મામલે એક નવું અપડેટ સામે આવ્યું છે. આ સંબંધમાં દિલ્હી પોલીસની એક ટીમ હવે મુંબઈ પહોંચી ગઈ છે અને ટૂંક સમયમાં મુંબઈ પોલીસની સાથે દિલ્હી પોલીસની આ ટીમ ગુરુચરણ સિંહના મિત્રો અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની સ્ટાર કાસ્ટની પૂછપરછ કરવા જઈ રહી છે.
સૌથી પહેલા પોલીસની ટીમ મુંબઈના મલાડમાં ગુરુચરણના ઘરે જશે અને તેના ઘરની તપાસ કરશે અને અભિનેતાના પડોશીઓની પણ ગુરુચરણ વિશે પૂછપરછ કરવામાં આવશે. આ દરમિયાન ભક્તિ સોનીની પણ પૂછપરછ કરવામાં આવશે. અભિનેતાના ફોન હિસ્ટ્રીની પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘણા કોન્ટેક્ટ્સને ફોન કરીને પણ સવાલ-જવાબ આપવામાં આવશે જો કે, દિલ્હી કે મુંબઈ પોલીસ અને ગુરુચરણના નજીકના લોકો દ્વારા આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.