Income Tax: સંપત્તિ ખરીદતી વખતે 2 લાખ રૂપિયા થી વધુના રોકડ વ્યવહાર અંગે આઇટી વિભાગને માહિતી આપવાની ફરજ, નહીં આપવા પર કાર્યવાહી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Income Tax: હાલમાં ફ્લેટ કે કોઈ પ્રોપર્ટી ખરીદવા જાઓ તો અમુક ટકા રૂપિયાનો વ્યવહાર કેશમાં કરવો પડે છે, જે બ્લેકમની ગણાય છે, જેનો કોઈ હિસાબ હોતો નથી. ત્યારે આવા બ્લેકમનીના વ્યવહારોને અટકાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. વેચાણ દસ્તાવેજમાં 2 લાખ કે તેથી વધુ રોકડ રકમનો વ્યવહાર દર્શાવવામાં આવ્યો હશે તો આઇટી વિભાગને તેની વિગતો આપવી પડશે. જો આ અંગે માહિતી છુપાવવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, જેને લગતો પરિપત્ર નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્સની કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

શિક્ષાત્મક કાર્યવાહીની સૂચના

- Advertisement -

આ પરિપત્ર સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી પિટિશનને ટાંકીને કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે, જ્યારે પણ કોઈપણ સ્થાવર મિલકતના લે-વેચ માટે 2 લાખ રૂપિયા કે તેથી વધુ રકમની રકમ રોકડ સ્વરૂપે અવેજ તરીકે વેચાણ દસ્તાવેજમાં દર્શાવે/આપે તો તેની જાણ ઇન્કમટેક્સ સત્તાધિકારીને કરવાની રહેશે. જ્યારે ઇન્કમટેક્સ અધિકારીને 2 લાખ રૂપિયાની રોકડ રકમ અવેજ તરીકે આપ્યાની જાણ તેમજ તપાસ દરમિયાન અથવા અન્ય રીતે થાય તો શિક્ષાત્મક કાર્યવાહી કરવા મુખ્ય સચિવને સૂચના આપવામાં આવી છે.

અધિકારી સામે કાર્યવાહી કરવાની પણ સૂચના

આ ઉપરાંત જ્યારે પણ, કોઈપણ આવકવેરા સત્તાધિકારીની જાણમાં આવે છે કે રૂ. 2 લાખ અથવા તેનાથી વધુની રકમ અન્ય કોઈપણ સ્ત્રોતમાંથી કોઈપણ સ્થાવર મિલકતને લગતા કોઈપણ વ્યવહારમાં કે આકારણીની કાર્યવાહી દરમિયાન ચૂકવવામાં આવી છે, ત્યારે તે નોંધણી કરનારની નિષ્ફળતા ગણાશે અને રાજ્ય અને યુટીના મુખ્ય સચિવની જાણમાં યોગ્ય કાર્યવાહી માટે લાવવામાં આવશે. વ્યવહારોની જાણ કરવામાં નિષ્ફળ ગયેલા અધિકારી સામે કાર્યવાહી કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

દસ્તાવેજોમાં અવેજનો ઉલ્લેખ કરવો

સ્થાવર મિલકતની તબદીલી અથવા તબદીલીને અસર કરતાં દસ્તાવેજો કે જેમાં અવેજનો ઉલ્લેખ હોય તેવા દસ્તાવેજોમાં અવેજ 2 લાખ રૂપિયા કે તેથી વધુની રકમ રોકડ (Cash) સ્વરૂપે આપવાનો ઉલ્લેખ હોય તો તે દસ્તાવેજની માહિતી (દસ્તાવેજનો પ્રકાર, અવેજની વિગત, આપનાર-લેનાર પક્ષકારની વિગત) ઇન્કમટેક્સ સત્તાધિકારીને જાણ કરવાની રહેશે. પરિપત્રમાં જણાવ્યા અનુસાર સૂચનાનું પાલન નહીં કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

TAGGED:
Share This Article