World Parkinson’s Day: પાર્કિન્સન્સ રોગ પ્રત્યે જાગૃતિ વધારવા માટે ૧૧ એપ્રિલના રોજ ‘વર્લ્ડ પાર્કિન્સન્સ ડે’ ઉજવવામાં આવે છે. પાર્કિન્સન્સ ત્યારે થાય છે જ્યારે મગજમાં કેટલાક ચેતા કોષો, ખાસ કરીને ડોપામાઇનના ઉત્પાદન માટે જવાબદાર કોષો બગડવા લાગે છે. ડોપામાઇન આપણી ગતિ અને સંકલન (Coordination) ને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
જે લોકોને નાની ઉંમરમાં પાર્કિન્સન્સ થાય છે તેમાં તેનું ચોક્કસ કારણ હંમેશા સ્પષ્ટ હોતું નથી. ઘણીવાર આના માટે આનુવંશિક કારણો અથવા વાતાવરણ જવાબદાર હોઈ શકે છે. કેટલાક લોકોને જીન મ્યુટેશન વારસામાં મળી શકે છે જે તેમનામાં પાર્કિન્સન્સનું જોખમ વધારે છે. ઝેરી પદાર્થોના સંપર્કમાં આવવું, વારંવાર માથામાં ઈજા થવી અથવા લાંબા સમય સુધી તણાવ પણ ઉંમર પહેલા પાર્કિન્સન્સનું કારણ બની શકે છે. જોકે આ કારણોસર દરેક લોકોને આ રોગ થતો નથી. ‘વર્લ્ડ પાર્કિન્સન્સ ડે’ ના અવસરે આ રોગને જાણવો અને સમજવો જરૂરી છે, જેથી તેનાથી બચાવ કરી શકાય.
પાર્કિન્સન્સમાં જોવા મળે છે આ ફેરફારો-
પાર્કિન્સન્સના શરૂઆતના લક્ષણો ઘણીવાર ખૂબ જ નજીવા હોય છે અને તેને તણાવ, થાક અથવા સામાન્ય હેલ્થ પ્રોબ્લેમ તરીકે ખોટી રીતે સમજી શકાય છે.
સૌથી પહેલા ધ્યાન દોરતા ફેરફારોમાં હાથ અથવા આંગળીઓમાં હળવી ધ્રુજારી હોઈ શકે છે, ખાસ કરીને આરામ કરતી વખતે. જોકે ધ્રુજારી હંમેશા પહેલું લક્ષણ હોતું નથી.
પાર્કિન્સન્સની શરૂઆતમાં લોકોને પોતાના અંગોમાં જકડન, ધીમી ગતિ અથવા શરીરમાં ભારેપણું અનુભવી શકાય છે. જે કામો પહેલા સરળ લાગતા હતા, જેમ કે શર્ટના બટન લગાવવા, લખવું અથવા ઝડપથી ચાલવું, તે હવે વધુ મહેનતવાળા લાગવા માંડે છે.
ચાલવા-હરવા સંબંધિત લક્ષણો ઉપરાંત, કેટલાક એવા લક્ષણો પણ હોય છે જેના પર ઘણીવાર ધ્યાન જતું નથી. આમાં ઊંઘની સમસ્યા, કબજિયાત, સુંઘવાની ક્ષમતામાં ઘટાડો, ચિંતા, ડિપ્રેશન અને થાક સામેલ છે. આ લક્ષણો ચાલવા-હરવા સંબંધિત સામાન્ય સમસ્યાઓ શરૂ થવાના ઘણા વર્ષો પહેલા જ દેખાઈ શકે છે.
પાર્કિન્સન્સનો બીજો એક શરૂઆતનો સંકેત લખાણમાં ફેરફાર છે. પાર્કિન્સન્સથી પીડિત વ્યક્તિનું લખાણ સમયની સાથે નાનું અને વધુ સંકુચિત થઈ શકે છે.
પાર્કિન્સન્સ થવા પર ચહેરાના હાવભાવ ઓછા થઈ શકે છે, જેનાથી ચહેરો ‘નકાબપોશ’ (Mask-like) જેવો લાગી શકે છે. કેટલાક લોકોને ધીમો અવાજ અથવા અવાજના લહેકા માં ફેરફારનો પણ અનુભવ થાય છે.
પાર્કિન્સન્સના લક્ષણો શું છે?
પાર્કિન્સન્સના લક્ષણો દરેક વ્યક્તિમાં અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ કેટલાક સામાન્ય લક્ષણો નીચે મુજબ છે:
ધ્રુજારી જે સામાન્ય રીતે શરીરની એક બાજુથી શરૂ થાય છે
સ્નાયુઓમાં અકડામણ અને જકડન
ગતિ ધીમી થવી (બ્રેડીકાયનેશિયા)
બેલેન્સ બનાવવામાં સમસ્યા
ચાલતી વખતે નમવાની વૃત્તિ
ચાલતી વખતે હાથોને ઓછા હલાવવા
કયા લોકોને થાય છે YOPD
નાની ઉંમરમાં થતા પાર્કિન્સન્સને અર્લી-ઓનસેટ પાર્કિન્સન્સ અથવા યંગ-ઓનસેટ પાર્કિન્સન્સ (YOPD) કહે છે. આ પુરુષો અને મહિલાઓ બંનેને અસર કરી શકે છે. જે લોકોના પરિવારમાં આ બીમારીનો ઇતિહાસ રહ્યો છે, તેમને આનું વધુ જોખમ હોય છે.
કેટલાક જેનેટિક મ્યુટેશનને નાની ઉંમરમાં થતા પાર્કિન્સન્સના કેસો સાથે જોડવામાં આવ્યા છે. જે લોકો પેસ્ટિસાઇડ અથવા ઇન્ડસ્ટ્રિયલ કેમિકલ્સ જેવા પર્યાવરણીય ઝેરી પદાર્થોના સંપર્કમાં આવે છે, તેમનામાં પણ આનું જોખમ વધી શકે છે. ઘણા લોકોને કોઈ પણ સ્પષ્ટ કારણ વગર પણ પાર્કિન્સન્સ થઈ જાય છે.
શું પાર્કિન્સન્સને શરૂઆતના સ્ટેજમાં રોકી શકાય છે?
પાર્કિન્સન્સને રોકવાનો કોઈ નિશ્ચિત રસ્તો નથી. લાઇફસ્ટાઇલ સાથે જોડાયેલી કેટલીક આદતો તેના જોખમને ઘટાડવામાં અથવા તેની શરૂઆતમાં વિલંબ કરવામાં મદદ કરી શકે છે.
આમાં સૌથી સુરક્ષિત છે શારીરિક રીતે સક્રિય રહેવું. આનાથી બ્રેઈન હેલ્થ વધુ સારી રહે છે અને બેલેન્સને કંટ્રોલ કરવામાં પણ મદદ મળે છે.
ફળો, શાકભાજી અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર બેલેન્સ ડાયટ નર્વસ સિસ્ટમના કાર્યને બહેતર બનાવે છે.
હાનિકારક કેમિકલ્સના સંપર્કથી બચવું અને માથાને ઈજાઓથી બચાવવું પણ સમજદારીભરી સાવચેતીઓ છે.
પાર્કિન્સન્સની શરૂઆતની સારવાર શું છે?
જોકે અત્યાર સુધી પાર્કિન્સન્સનો કોઈ ઈલાજ નથી, પરંતુ શરૂઆતના લક્ષણોને ઓળખીને તેને મેનેજ કરવામાં ઘણી મદદ મળી શકે છે. પાર્કિન્સન્સના ઉપચારમાં સામાન્ય રીતે એવી દવાઓ સામેલ હોય છે જે મગજમાં ડોપામાઇનની માત્રાને પુનઃસ્થાપિત કરવામાં અથવા તેની નકલ કરવામાં મદદ કરે છે, જેનાથી લક્ષણોમાં સુધારો થાય છે. વ્યક્તિની ઉંમર, લક્ષણો અને લાઇફસ્ટાઇલના આધારે તેની સારવાર કરવામાં આવે છે.
દવાઓ ઉપરાંત ગતિ અને ફ્લેક્સિબિલિટી જાળવી રાખવામાં ફિઝિયોથેરાપીની મહત્વની ભૂમિકા હોય છે. સ્પીચ થેરાપી અવાજમાં ફેરફારને ઠીક કરવામાં મદદ કરી શકે છે, જ્યારે ઓક્યુપેશનલ થેરાપી રોજની પ્રવૃત્તિઓમાં સહાયક થાય છે. એક્સરસાઇઝ, ખાસ કરીને ચાલવું, યોગ અથવા સ્ટ્રેન્થ ટ્રેનિંગ પાર્કિન્સન્સના લક્ષણોને કંટ્રોલ કરવામાં સહાયક થઈ શકે છે.
પાર્કિન્સન્સ પ્રત્યે જાગૃતિ જરૂરી
પાર્કિન્સન્સના શરૂઆતના લક્ષણોને ઓળખવા માટે આ રોગ પ્રત્યે જાગૃતિ જરૂરી છે. રોગની વહેલી ઓળખ કરવાથી અને જલદી સારવાર શરૂ કરવાથી પાર્કિન્સન્સના લક્ષણોને કંટ્રોલ કરી શકાય છે. આનાથી દર્દી માટે આગળની જિંદગી સરળ બની શકે છે.

